સુરતઃ સુરતમાં બળાત્કાર અને હત્યા મામલે સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજાને હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ફાંસીનો ચુકાદો યથાવત રાખતા સેશન્સ કોર્ટના જજ પીએસ કાલાએ દોષિત અનિલ યાદવનું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું. દોષિત અનિલ યાદવને અમદાવાદની સાબરમતી જેલમાં 29 ફેબ્રુઆરીના રોજ ફાંસીની સજા આપવામાં આવશે. પોક્સો હેઠળ 29 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પ્રથમવાર ફાંસીની સજા આપવામાં આવશે.


મળતી જાણકારી અનુસાર. સુરતના લિંબાયતમાં  ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરનારા  નરાધમ અનિલ યાદવ વિરુદ્ધ ડેથ વોરંટ ઇન્શ્યૂ કરવામાં આવ્યું હતું. આ કેસને સેશન્સ અને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. સેશન્સ કોર્ટના ફાંસીના આદેશને 149 દિવસ થયા બાદ હાઇકોર્ટે પણ વિવિધ પાસાંઓ અને પુરાવાઓ ઉપરાંત ટ્રાયલ દરમિયાન થયેલી દલીલો સહિતના મુદ્દાઓને ધ્યાને લઈને આરોપી અનિલ યાદવ ફાંસીને જ લાયક હોવાને ઉચિત માન્યું હતું. કાયદાકીય જાણકારો કહે છે કે, આરોપી હવે  સુપ્રીમમાં અરજી કરી શકે છે. ઉપરાંત રાષ્ટ્રપતિને પણ દયાની અરજી કરી શકે છે.

આ ઘટનાની વિગતો એવી છે કે લિંબાયતમાં રહેતા દોષિતઅનિલ યાદવે પોતાના ઘરમાં  જ  સાડા ત્રણ વર્ષની બાળકીને લઇ ગયો હતો. બાદમાં તેના પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં બાળકીની લાશને કોથળામાં ભરી પોતાની રૂમને બહારથી તાળું મારી દીધું હતું. હત્યા કર્યા બાદ તે પોતાના વતન નંદુરબાર ભાગી ગયો હતો. પોલીસે તેને  બિહારથી ઝડપ્યો હતો અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી.