ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરાઈ તેમાં સુરતમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ખાસ સાથી એવા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર ધાર્મિક માલવિયાને ટિકિટ અપાઈ હતી. હાર્દિક પટેલ પણ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો પ્રમુખ હતો અને તેમાંથી કોંગ્રેસમાં ગયો છે.

ધાર્મિક માલવિયાએ શનિવારે સવારે પોતાને ટિકિટ મળી હોવાથી ઉમેદવારી નોંધાવશે એવી જાહેરાત કરી હતી. જો કે તેણે છેલ્લી ઘડીએ નાટક કરીને જાહેરાત કરી હતી કે, પોતે ઉમેદવારી ફોર્મ નહી ભરે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જાહેર કર્યું કે, સુરતમાં વોર્ડ નંબર 17માં જે પ્રમાણે ટીકિટ માંગી હતી તે પ્રમાણે આપવામાં આવી નથી  તેના કારણે પોતે પોતાનું ફોર્મ ભરશે નહી .

કોંગ્રેસે કરેલી જાહેરાત પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના ચહેરા પૈકીનો એક ધાર્મિક માલવિયા કૉંગ્રેસની ટિકિટ પર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડશે. સુરતના વૉર્ડ નંબર ત્રણમાંથી પાસના કાર્યકર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે  ટિકિટ આપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા વોર્ડ પાટીદારોનો ગઢ છે. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાની નજીક મનાતા ધાર્મિક માલવિયા સાથે ફોર્મ ભરવા માટે અલ્પેશ કથીરિયા પણ પહોંચ્યો હતો.