મળતી જાણકારી અનુસાર, હાલમાં સમગ્ર દેશમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરતનો ડાયમંડ ઉદ્યોગને પણ તેની અસર થતી જોવા મળી રહી છે. સુરતના કતારગામમાં આવેલી ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. આમ અચાનક રત્ન કલાકારોને છૂટા કરવામાં આવતા તેમણે વિકાસ સંઘને રજૂઆત કરી હતી. રત્નકલાકારોનું કહેવું છે કે ઘણા સમયથી તેમની આર્થિક સ્થિતિ સારી નથી એવામાં આમ અચાનક તેમને છૂટા કરી દેવાતા તેઓની સ્થિતિ કફોડી બની છે.
જોકે, કંપનીનું કહેવું છે કે કંપની નુકસાન કરી રહી હતી જેના કારણે તેમને છૂટા કરવામાં આવ્યા છે. રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ કહ્યું કે, હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. દિવાળી આવી રહી છે ત્યારે હવે કારખાનામાંથી છૂટા કરી દેતા તેમને ક્યાં જવું તે પ્રશ્ન છે. અમે રત્નકલાકારોના હિત માટે લડત ચલાવીશું અને તમામને તેમના હક્ક મળી રહે તે માટે અમે પગલાં લઈશું.