સુરત: શહેરમાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાને પોતાના પતિની ફોઈના પૌત્ર દ્વારા બ્લેકમેઈલિંગ કરાતાં મહિલાએ કંટાળીને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના અલથાણમાં આવેલ રઘુવીર સેફરોન સોસાયટીમાં મૂળ રાજસ્થાનના 27 વર્ષના સજ્જુબેન સુથાર અને તેમના પતિ ગોપાલ એક મહિના પહેલાં જ અહીં રહેવા આવ્યા હતાં. સજ્જુબેનના પતિ ફર્નિચરનો શો રૂમ ધરાવે છે. 7 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા અને તેમને બે દીકરા પણ છે.

સજ્જુબેનનો પતિ શો રૂમ પર હતો ત્યારે સજ્જુબેને ઘરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. છેલ્લા એક મહિનાથી સજ્જુબેનને તેમના પતિની ફોઈનો પૌત્ર હનુમાન બ્લેકમેલ કરતો હતો. હનુમાનને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થતો હતો. સજ્જુબેન અને હનુમાન એકબીજા સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં હતા અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.

જોકે હનુમાને સજ્જુબેનને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હોવાનું પણ જાણવા મળી આવ્યું છે. સજ્જુબેનના ભાઈ બજરંગે જણાવ્યું હતું કે, હનુમાન તેમની બહેનને બ્લેકમેઈલ કરતો હતો કે ભાભી મારી સાથે વાત કરો નહીં તો ગોપાલને બધી વાત કરી દઈશ. પતિ સાથે થતાં ઝઘડો અને પતિની ફોઈના પૌત્રના બ્લેકમેઈલિંગથી કંટાળી સજ્જુબેને આપઘાત કરી લીધો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે.


ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, સજ્જુના પતિ ગોપાલે સજ્જુના પેટમાં રહેલું બાળક તેનું હોવાનું જણાવતાં ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલ ખાતે સજ્જુના પેટમાં રહેલાં ગર્ભના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુ માહિતી ડીએનએ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ તો સજ્જુના પરિવાર અને પતિના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે.