સુરતઃ સુરતના પાસોદરા પાસે પાંચમાં માળે રહેતા કાસડીયા પરિવારનો 3 વર્ષનો રીધમ ભૂલથી ઘરના મુખ્ય હોલમાં ફસાઈ ગયો હતો અને ઘરનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. જોકે ફાયરબ્રિગેડના કર્મચારી રણજીત મીરે જીવના જોખમે બારીનો કાચ તોડી ઘરમાં એન્ટર થયો હતો અને આ બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બની ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.


રીધમ બેડરૂમમાં તેની માતા અને મોટી બહેન સાથે સૂઈ રહ્યો હતો. જોકે ત્યાર બાદ તે રસોડાંના પ્લેટફોર્મ પર મુકેલો મોબાઈલ લેવા માટે બેડરૂમની બહાર આવ્યો હતો. મોબાઈલ રમવામાં તેની માતા કે બહેન ડિસ્ટર્બ ન કરે તે માટે રીધમે બેડરૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો હતો. જોકે કમનસીબીની વાત એ હતી કે ઘરનો મુખ્ય દરવાજો પણ અંદરથી લોક હતો.

જેથી માતા અને બાળક અલગ-અલગ રૂમમાં લોક થઈ ગયા હતા. જોકે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, બાળકને મોબાઈલ આપવું નુકસાનકારક છે પરંતુ પછી રીધમે જાતે જ તેના પિતાને ફોન કરીને રડતાં-રડતા વાત કરી રહ્યો હતો.

ત્યાર બાદ પિતાએ એક પણ મીનિટ બગાડ્યા વગર જ ફાયરને ફોન કર્યો હતો. ફાયરના માર્શલ રણજીત મીરે ચેરનોટની મદદથી ટેરેસ પરથી પાંચમાં માળે બારીનો કાચ તોડીને જીવના જોખમે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બાળકને બચાવ્યું હતું. આ દરમિયાન લોકોએ ફાયર બ્રિગેડના જવાનના વખાણ કરી રહ્યા હતાં.