સુરતઃ ગુજરાત ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સંઘવીએ ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. જે બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે તેમના ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.


હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યુ, આજે મે કોવિડ -19 પરીક્ષણ કરાવ્યું અને તે સકારાત્મક આવ્યું છે. મેં હોસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કર્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓને જાતે પરીક્ષણ કરવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપું છું.



સંઘવીની ટ્વિટને રી ટ્વિટ કરી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યુ, તમને ઝડપથી રિકવરીની શુભેચ્છા. જલ્દી સાજા થાઓ.

ગુજરાતમાં બુધવારે કોરોનાના 1197 કેસ નોંધાયા હતા અને વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2947 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,798  એક્ટિવ કેસ છે, જ્યારે 72,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,798 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90,193 પર પહોંચી છે.