સુરતઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટીલે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતા અને પૂર્વ ધારાસભ્યોને લઈને ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે અગાઉ વેબિનારમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ભાજપમાં લેવાથી જ ભાજપ જીતે છે એવી માન્યતા તોડવી જરૂરી છે અને ભાજપના કાર્યકરોએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપ જોડવા પડે. ભાજપના કાર્યકરોએ ગાંઠ બાંધવી જોઈએ કે, જીત મેળવવા માટે કોઈની લાચારી ન અનુભવવી જોઇએ અને કોઈને લાવવાની જરૂરિયાત ઉભી ન થવી જોઈએ.


નોંધનીય છે કે, આગામી સમયમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને મજબૂત સ્થિતિમાં છે. આ કોઈને લાવવાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બચે કે બને એવી કોઇ જરૂરિયાત નહોતી. જે લોકો ભાજપમાં આવ્યા છે, એમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેમને ફરીથી ઇલેક્શન લડીને સાબિત કરવું પડશે કે, હું ધારાસભ્ય બની શકું એમ છું અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકું એમ છું. તો જ એ ધારાસભ્ય બની શકશે. જોખમ કરીને પણ એવા લોકો ભાજપમાં આવ્યા છે, તો એમણે પોતાનું ભવિષ્ય કોંગ્રેસમાં દેખાયું નથી. એને લાગે છે કે કોંગ્રેસ ટાયટેનિક બની ગઈ છે અને ડૂબવાની તૈયારીમાં છે. એમનું રાજકીય ભવિષ્ય ત્યાં સલામત નથી, એટલા માટે તેઓ પાર્ટી છોડીને આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, હું હજુ પણ કહું છું કે, દરેક કાર્યકરો પોતાને આપેલી જવાબદારી પ્રામાણિકતાથી નિભાવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડે. એટલે કોઈ સામે હશે જ નહીં, જેથી કોઈને લાવવાની જરૂર નહીં પડે.