સુરતઃ આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સુરતમાં ભાજપે જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. ત્યારે સુરતમાં કતારગામ ધારાસભ્ય વિનુ મોરડીયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા છે. પોતાના જ કાર્યકર્તા માટે નિવેદન આપ્યું છે.


તેમણે કતારગામમાં જાહેર મંચ પરથી નારાજ કાર્યકરોને કહ્યું હતું કે, બુથ બુથ અને પેજ કમિટી સુધી જેને ખૂજલી આવી છેને એ લોકોને દોડાવી દોડાવીને તોડાવી નાખવાના છે. અમુક અમુક જાગ્યા છે અને કાર્યાલયો ખોલી છે. એને મનાવવા નથી જાવાનો, હું અહીંથી જાહેરમાં કહું છું, જેને રિસાયા વગર આવું એ આવી જાજો. મનાવવાના દિવસો જતા રહ્યા છે, પહેલા દાદા બહુ રિસાતા હતા, પહેલા કાકા રિસાતા હતા. હવે રિસાવાનો રિવાજ નથી. સમયનું પરિવર્તન છે, બદલાઇ ગયો છે અને મારા તો સ્વભાવમાં જ નથી. રિસાવું નહીં. એકલા આવી જાજો, મારી હજુ પણ શુભેચ્છા છે. આવતા હોય તો આવી જાવ આ બધો પ્રવાહ છે. આ વહેતો પ્રવાહ છે, વહેતી ગંગામાં ડુબકી મારવાની છે.

તેમણે આ અંગે સ્પષ્ટતા કરતાં વિનુ મોરડિયાએ જણાવ્યું હતું કે, પાર્ટી વિરોધી કાર્ય કરતા કાર્યકરોને મેં ચેતવણી આપી છે. સોમાભાઈ પટેલ અને જયંતિભાઈ ભંડેરી પક્ષ વિરોધી કાર્ય કરે છે. છેલ્લા પાંચ વર્ષથી આ બે પૂર્વ કોર્પોરેટરો પાર્ટી વિરોધી કામ કરે છે. પાર્ટી વિરોધી કામ કરનાર બંને પૂર્વ કોર્પોરેટરો હાલ ભાજપમાં નથી.