સુરત: શહેરના લીંબાયતની 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલાં આરોપીને 31 જુલાઈએ એડિશન સેશન્સમાં ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ કેસની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે માન્ય ગણાવ્યો છે. આ કેસમાં 289 દિવસમાં આરોપી અનિલ યાદવ દોષિત જાહેર થયો હતો અને 31 જુલાઈના રોજ સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

નોંધનીય છે કે, 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય આચરનાર આરોપીને સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. 15-10-2018એ ગુનો આચરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી હતી.

ગુજરાતની આ ચકચારી કેસમાં સરકારે કેસ ઝડપી ચલાવવા રજુઆત પણ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ, મેડિકલ પુરાવવા, FSL પુરાવવા, સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાંની લાગણી વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે, બાળકીનો પરિવાર જે મકાનમાં રહેતો હતો તેના નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યાં બાદ લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. પોલીસે બંધ મકાનનું તાળું તોડતા બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના વતન ભાગી ગયો હતો.