નવસારીઃ નવસારી તાલુકાના રામલામોરા ગામે યુવતીને બીમારી દૂર કરવાના બહાને બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી આ અંગે કોઈને કહેશે તો જયેશ ભગતે જાનથી મારી નાંખવાની ધમકી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે જયેશ બાપુને ઝડપી લીધો છે. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. તેમજ જયેશ ભગત પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.


યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી તેની તબિયત સારી રહેતી નહોતી. જેથી કોઈએ નવસારી પાસેના રામલામોરા ગામમાં ભગત(બાપુ) ઉર્ફે જયેશ ભગત પાસે જવાની સલાહ આપી હતી. આથી યુવતી તેમને મળવા ગઈ હતી, ત્યારે ભગત બાપુ સાથે ફક્ત વાતચીત થઈ હતી. યુવતી તેમને બીજીવાર મળવા ગઈ ત્યારે તેમણે યુવતીને દવા આપી હતી. તેમજ ગત 20મી ઓક્ટબરે ફરી મળવા માટે બોલાવ્યા હતા.

આથી યુવતી જયેશ બાપુને મળવા ત્રીજીવાર મંદિરે પહોંચી હતી. અહીં યુવતીને સવાર સાંજ સુધી બેસાડી રાખી હતી. સાંજે મંદિરમાં કોઈ નહોતું ત્યારે તેઓ યુવતી પાસે આવ્યા હતા અને તેની સાથે અડપલા કરવા લાગ્યા હતા. તારે સારું થવું હોય અને દુ:ખ દૂર કરવું હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે. બધા કિસ્સામાં હું દરેક આવનારી સ્ત્રીને આવું જ કરું છું. આવું કરવાથી દુઃખ મટી જાય છે, તેમ કહ્યું હતું અને પછી તેને બાજુના ઘરમાં લઈ જઈ પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેવું લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે યુવતીએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયેશ ભગત સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ યુવતીનું મેડિકલ અને જયેશ બાપુની મેડિકલ તપાસ કરી વધુ તપાસ કરી રહી છે.