સુરતઃ સુરતમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા પરિચયમાં આવેલા યુવક-યુવતીની પરિવારે સગાઈ કરી આપી હતી. સગાઈ પછી યુવકે યુવતીને બહાર ફરવા જવાના બહાને હજીરા રોડની હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યા હતા. જહાંગીરપુરા વિસ્તારની આ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી તરછોડી દેતાં યુવતીએ વરિયાવના યુવાન વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.


જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી (ઉ.વ. 21)નો જુલાઇ 2018માં ઇન્સ્ટ્રગ્રામ અને અન્ય સોશિયલ મિડીયા થકી ઇકરામ હનીફ ફેન્સી (રહે. ઘર નં. 626, ઘાંચી ફળિયું, વરિયાવ ગામ) સાથે પરચિય થયો હતો. સોશિયલ મિડીયા પર મેસેજથી વાતચીત દરમ્યાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. બંને સમયાંતરે ફોન પર વાત કરતા અને મળતા હતા. તે દરમ્યાન યુવતી ઇકરામને લગ્ન કરવા માટે કહેતી હતી પરંતુ ઇકરામ પરિવારને સમજાવવાના બહાને સમય પસાર કરતો હતો. કંટાળીને ફેબ્રુઆરી 2019માં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કારણે બંને વચ્ચેના પ્રેમસંબંધની જાણ થતા બંનેના પરિવારે સગાઇ કરાવી હતી.

સગાઇ બાદ ઇકરામ વારંવાર યુવતીને ફરવા માટે લઇ જતો હતો. તે દરમ્યાનમાં હજીરા રોડની સ્વાગત હોટલમાં ત્રણથી ચાર વખત લઇ જઇ ઇકરામે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેઓ નિયમીત પણ વ્હોટ્સ અપ અને ફોન પર વાત કરતા હતા. તાજેતરમાં ઇદ ના બીજા દિવસે ઇકરામે યુવતી પાસે ફોન પર તેના સોશિયલ મિડીયાના પાસવર્ડની માંગણી કરી હતી. યુવતીએ સોશિયલ મિડીયાના એકાઉન્ટ ડિલીટ કરી દીધા હોવાથી ઈકરામે ગાળો આપીને સંબંધ પર પૂર્ણવિરામ મુકી દેતા યુવતીએ મહિલા હેલ્પલાઇનનો સંર્પક કરી જહાંગીરપુરા પોલીસ મથકમાં ઇકરામ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.