સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું.  પાલ વિસ્તારની એક મહિલા અને મગદલ્લા વિસ્તારના એક યુવકને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં જ બંને લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોના મોત થયા છે.




બીજી તરફ અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.  30 જૂલાઈ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 174, મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 451, કમળાના 116 તથા કોલેરાના 6 કેસ નોંધાયા હતા.  મનપાના આરોગ્ય વિભાગે 28 જૂલાઈ તથા એક ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરી હતી.  આ તપાસ સમયે 725 એકમની તપાસ કરી 448 એકમને નોટિસ આપી ૯ લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ ફટકાર્યો હતો. તો ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલ શિવાલય કોમ્પલેકસના બેઝમેન્ટમાંથી મચ્છરના પોરા મળતા સીલ મરાયુ હતું.


અમદાવાદ સહિત રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.  અરવલ્લી જિલ્લા મેઘરજમાં હરિઓમ આશ્રમ શાળામાં એક સાથે 39 વિદ્યાર્થીઓને આંખ આવવાની બીમારી થઈ હતી.  હાલમાં તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.  તો આરોગ્ય વિભાગે પણ દર્દીઓને ચશ્મા પહેરી રાખવા અને ભીડવાળી જગ્યા પર ન જવા માટે અપીલ કરી છે.


અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડો થયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.


આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.