સુરતઃ દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે, કોર્ટે મને ન્યાય આપ્યો છે. મારા પરિવારનો અને મારા પતિનો સાથ સહકાર રહ્યો હતો. તેમણે પુરતું સમર્થન આપ્યું હતું જેના કારણે આજ દિવસ સુધી અમે લડી શક્યાં અને લડ્યાં બાદ અમને ન્યાય પણ મળ્યો છે.

આટલા સમય સુધી અસંખ્ય વાર ધાક ધમકીઓ મળતી હતી. પરંતુ અમે તેમાં અડગ રહ્યાં હતાં. પીડિતાએ જણાવ્યું હતું કે, જોધપુરની ફરિયાદ બાદ હિંમત ખુલી ગઈ હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. આશ્રમમાં અનેક સાધિકાઓ બાપ દીકરાની ભોગ બની ચુકી છે.

બાપ દીકરો નાની મોટી સાધિકાઓ એવું કશું જ જોતાં નહોતાં. તેને જ ગમી જાય તેમની સાથે તેઓ બદકામ કરતાં હતાં. બદકામ કરતાં અગાઉ તેની એક ટીમ જ બ્રેઈનવોશ કરી દેતી હતી. હજુ પણ એવી ઘણી સાધિકાઓ છે જે બહાર નથી આવી. ઘણી સાધિકાઓનું તેમણે શોષણ પણ કર્યું છે.

પીડિતાએ જણાવ્યું હતું કે, સીધી લાલચ આપવામાં આવી નહોતી. પરંતુ વાયા વાયા અમારો સંપર્ક કરવામાં આવતો હતો. કેસ પાછો ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવાર અમારી સાથે હોવાથી અમે લડવાનું નક્કી કર્યું હતું.