એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ હવે ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ‘નિસર્ગ’ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3થી 5 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે વાવાઝોડાની અસરના પગલે આજે સવારે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદના છાંટા પડ્યા હતાં જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે ખેડોતની મુશ્કેલીઓ વધી ગઈ હતી.


વાવાઝોડના પગલે સોમવારે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે જિલ્લાના ચાર તાલુકા પૈકી મહુવામાં 2 કલાક 1 ઈંચ જ્યારે માંડવીમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

ફલંડ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે સોમવારે સવારે સુરતના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાઈ જવાની સાથે કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડયા હતા. ત્યારબાદ આખો દિવસ વાદળીયું હવામાન અને ધોમધખતો તાપ પડતા મિશ્ર હવામાન નોંધાયું હતું.

બે કલાકમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 1 ઈંચ, માંડવીમાં અડધો ઇંચ, ઉમરપાડામાં 7મી.મી અને 3 મી.મી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્ય તાલુકામાં વરસાદ પડ્યો નથી. જોકે વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે.