સુરત: ડાયમંડનગરી સુરતમાં પોલીસનો એક અમાનવીય ચહેરો સામે આવ્યો ચછે. PCR વાન પોલીસકર્મી દ્વારા યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આ મામલે પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બાબતે DCP ભગીરથ ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે.


આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન 2 વ્યક્તિ રીક્ષામાં બેઠા હતા. તેઓ PCR વાનને જોઈ ભાગવા લાગ્યા. જેમાંથી એક વ્યક્તિને પોલીસે પકડી લીધો હતો અને બીજો ભાગી ગયો હતો. જેમાં બીજાને પકડવા જતા આનાકાની કરી હતી અને અસભ્ય વર્તન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે બાદ પોલીસે બળ પ્રયોગ તેને પકડી લીધો હતો. પકડાયેલા બંને વ્યક્તિને કેમ ભાગ્યા પૂછતાં જણાવ્યું હતું કે, પોલીસને જોઈ ઘભરાઈ ગયા હતા. એટલે જ તે સમયે પોલીસે બંને વ્યક્તિને જવા દીધા હતા. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જે વિગતો સામે આવશે તેમ કાર્યવાહી કરાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હાલ બંને વ્યક્તિ નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેઓ પોલીસના સંપર્કમાં હજી સુધી આવ્યા નથી.


વેરાવળમાં ફાર્મ હાઉસમાં ચાલું મહેફીલમાં પોલીસે રેડ પાડતા મચી અફરાતફરી


વેરાવળના ભલાપરા ગામ નજીક ફાર્મ હાઉસમા એલસીબીએ રેડ પાડી છે. ચાલુ મહેફિલમાં પોલીસ ત્રાટકતા અફરાતફરી મચી ગઈ છે. રેડ  સમયની તસવીરો પણ સામે આવી છે. આ રેડ દરમિયાન 10 લોકોની પોલીસે અટકાયત કરી છે. ઇંગ્લિશ દારૂ, બિયર અને બ્રિજર ભરેલી અને ખાલી બોટલો પણ કબજે કરવામાં આવી છે.


વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર


વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.


ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા


લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,  જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.