સુરત: વિશ્વ અંગદાન દિવસે ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની કિરણ હોસ્પિટલ ખાતે કરાવવામાં આવ્યું છે. કમલેશભાઈ પાટીલ ઉ.વ ૪૭ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કમલેશભાઈના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસથી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. નોંધનીય છે કે, ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.




 
મૂળ નંદુરબાર મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ સી-૩૬, શિવસાઈ શક્તિ સોસાયટી માધવ કોમ્પ્લેક્ષની નજીક, ડિંડોલી, સુરત ખાતે રહેતા અને ઉધના ત્રણ રસ્તા પાસે ઓમ સાઈ મિસળ પાઉં સેન્ટર નામની લારી ચલાવતા કમલેશભાઈ તા. ૧૦ ઓગસ્ટ ના રોજ નંદુરબાર મહારાષ્ટ્રમાં રહેતા તેમના મામાને ત્યાં દસમાંની વિધિમાં ગયા હતા. નંદુરબાર મહારાષ્ટ્રથી પરત સુરત આવતા રસ્તામાં ગાડી પરથી પડી ગયા હતા. અજાણ્યા વ્યક્તિએ તેમને તાત્કાલિક નંદુરબારમાં આવેલ સિવિલ હોસ્પીટલમાં અને ત્યારબાદ સ્મિત હોસ્પિટલમાં દાખલ કર્યા. તા. ૧૧ ઓગસ્ટના રોજ તેમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરી  સારવાર શરૂ કરવામાં આવી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
 
૧૨ ઓગસ્ટના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે કમલેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કમલેશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલની સાથે રહી કમલેશભાઈના ભાઈ પ્રકાશભાઈ, જમાઈ સુરેશભાઈ, મામા જીતેન્દ્રભાઈ, બનેવી બાબુલાલભાઈને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.





કમલેશના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે, મૃત્યુ પામ્યા પછી શરીર તો રાખ જ થઇ જવાનું છે, તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ દાન ન હોય શકે. એમ કહી તેઓએ કમલેશભાઈના અંગદાન કરવાની સંમતી આપી. કમલેશભાઈના પરિવારમાં તેમની માતા જીજાબેન, પત્ની નિર્મલાબેન, ભાઈ પ્રકાશ છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે. એક પુત્ર અક્ષય ઉ.વ ૧૮ ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, બે પુત્રીઓ પૈકી એક પુત્રી પુનમ ઉ.વ ૨૪ જે પરણિત છે, અને બીજી પુત્રી રોહિણી ઉ.વ ૨૧ છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. રવિ મોહન્કા અને તેમની ટીમે, કિડનીનું દાન ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નામા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું. ડૉ. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ. ૬૨ વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ.૪૧ વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.


સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૬૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૭૮ કિડની, ૨૦૬ લિવર, ૪૮ હૃદય, ૪૦ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૭૫ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૬૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.