સુરત: બીમારીનો ગેરલાભ ઉઠાવી દર્દીઓ પાસેથી રૂપિયા પડાવતી કર્ણાટકની કડુચી ગેંગના સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. અલગ અલગ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને આયુર્વેદથી સારવારના બહાને રૂપિયા પડાવી લેવાતા હતા. થેલેસેમિયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેઓને આર્યુવેદિક દવાથી સારું કરવાનો ભરોશો આપી લાખો રૂપિયા પડાવી લેવાના આંતર રાજ્ય ગુનાઓ આચરતી કર્ણાટક કડુંચી ગેંગના સાગરિતને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૬૬ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 


સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ પારધીની બંને કિડનીઓ ફેઈલ થઇ ગયી છે અને હાલમાં તેની સારવાર કરાવવા માટે ડાયાલીસીસ માટે હોસ્પિટલ જતા હોય ત્યાં અજાણ્યા ઈસમોએ આવી ગંભીર બીમારી આર્યુવેદિક દવાથી સારી કરી આપવાની લાલચ આપી તેઓ પાસેથી ૧.૪૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અઠવાગેટ જૈન મંદિર નજીકથી આરોપી દીલીપ કટપ્પા શાસ્ત્રી [શિરકે] ઉ.વ.૩૬ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૫૦ હજાર, અલગ અલગ બેંકના ૩ એટીએમ કાર્ડ, ૬ ચેક બુક, ૨ મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૬૬ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.


પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલો આરોપી અને તેના ૩ સાગરીતો મળી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યોમાં પોતાના અલગ અલગ એજન્ટો રાખી જ્યાં ગુનો આચરવાનો હોય તે શહેરમાં આર્યુવેદિક દુકાન અને મકાન ભાડેથી રાખી આજુબાજુના વિસ્તારમાં આવેલી હોસ્પિટલના બહાર ઉભા રહી ગંભીર બીમારીની સારવાર કરાવવા આવતા દર્દીઓને ટાર્ગેટ કરતા હતા અને તેઓને આર્યુવેદીકની દવાથી સારું થઇ જશે અને મારા સબંધીને પણ સારું થઇ ગયું છે. હવે દવા લેવાની પણ બંધ કરી દીધી છે તેવી વાત કરી પોતાના સાગરિતને પોતાનો સબંધી બતાવી તેની સાથે રૂબરૂ મુલાકાત કરાવતા હતા.


બાદમાં દર્દીઓને વિશ્વાસ અપાવી તેઓએ ખોલેલ આર્યુવેદની દુકાને લઇ જઈ ગંભીર બીમારીની સારવાર માટે વપરાતી આર્યુવેદ દવામાં સોનું, ચાંદી તેમજ અલગ અલગ જડી બુટ્ટી નાખી બનાવવામાં આવે છે જે ખુબ જ મોંધી દવા મળે છે. પરંતુ તે દવાથી ૧ મહિના પછી ૧૦૦ ટકા બીમારી સારી થઇ જાય છે અને આ બધી વાતો ચાલતી હોય તે દરમ્યાન અન્ય સહ આરોપી આર્યુવેદની દુકાન ઉપર આવીને પોતાને આપેલી લાખો રૂપિયાની દવાથી ખુબ જ સારું થઇ ગયું છે તેવી વાતો કરી પ્લાન મુજબ ભોગ બનનારને વિશ્વાસમાં લઈને આર્યુવેદીક દવાના નામ ઉપર લાખો રૂપિયા લઇ એક મહિનાના  સમય ગાળામાં દુકાન બંધ કરી શહેર છોડીને નાસી જતા હતા. 


વધુમાં આ ગેંગ દ્વારા અગાઉ મહારાષ્ટ્ર પુણે, પિંપરી ચિચોડ, તેમજ અમદાવાદમાં એક મહિના માટે આર્યુવેદની દુકાનો ખોલી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ સાથે છેતરપીંડી આચરી છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.