સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે જ્યાં સૌરાષ્ટ્રવાસીઓ સૌથી મોટી સંખ્યામાં રહે છે, તે વરાછા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાન-માવાના ગલ્લા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ પ્રમાણમાં વધતા અહીં પાન-મસાલાની દુકાનો પર સાત દિવસ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


સુરતના મેયર જગદીશ પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં જે વિસ્તારોમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળે અને તે જ વિસ્તારમાં સૌથી વધુ પોઝિટિવ કેસ મળતા હોય, ત્યારે તેને અટકાવવાના ભાગરૂપે જ્યાં સૌથી ઓછું સોશિયલ ડિસ્ટન્સ રહેતું હોય, ત્યાં નિયંત્રણના પગલા લેવાનું શરૂ કરવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, પાન-માવાના ગલ્લા પર સામાન્ય રીતે લોકો માત્ર પાન-માવા ખરીદવા માટે જ નહીં, ત્યાં ઊભા ઊભા પાન-માવા ચાવીને ત્યાંને ત્યાં થૂંકતા હોય તેવું જણાતા ત્યાં સંક્રમણની દહેશત વધતી જતી હોય તેવું જણાયું હતું. એટલે તકેદારીના ભાગરૂપે પાન-માવાના ગલ્લા સાત દિવસ માટે બે ઝોનમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા સુરતના બે ઝોન કતારગામ અને વરાછામાં પાન-માવાના ગલ્લા પર પ્રતિબંધ લગાવાયો છે. બાકીના ઝોનમાં ચાર કરતા વધુ લોકો હશે તો પગલા ભરાશે.|