સુરત: અહમદ પટેલનો પાર્થિવદેહ વડોદરા એરપોર્ટ ઉપર ચાર્ટર પ્લેનમાં લવાયા બાદ અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે, જ્યાં સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. અહેમદ પટેલના નિધન બાદ પિરામણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા છે. તેઓ સુરત એરપોર્ટથી અહેમદ પટેલના વતન પિરામણ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીની સાથે રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના નેતા ઉપસ્થિત છે.


આજે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ થશે. વડોદરા એરપોર્ટ ઉપર થી એમ્બ્યુલન્સમાંથી પાર્થિવદેહને બહાર લાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કૉંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ તથા હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે 3.30 વાગે નિધન થયું હતું. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી હતી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.