સુરતઃ માનહાનિ કેસમાં સજા મોકૂફ રાખવા રાહુલની અરજી પર આજે સુરત કોર્ટ ચુકાદો આપી શકે છે. 13 તારીખે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુરતની કોર્ટમાં દલીલો થઈ હતી. જેમાં રાહુલ ગાંધીના વકીલે દલીલ કરી કે, વિરોધ પક્ષનું કામ છે સરકારનો વિરોધ કરવાનો. રાહુલ ગાંધીને ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર છે. રાહુલના વકીલે ભાજપ સાંસદ નારણ કાછડિયાના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે શા માટે નારણ કાછડિયા વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી ન કરવામાં આવી. જ્યારે પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી કે, ઘણી વાર સાંસદો અને ધારાસભ્યો પર્સનલ લાઈફ અંગે નિવેદનો કરતા હોય છે, જે ગંભીર બાબત કહેવાય. બંને પક્ષની દલીલો પૂર્ણ થતા આજે ચુકાદો આવી શકે છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે.






નોંધનીય છે કે ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા વારંવાર અપરાધ કરે છે અને તેમને અપમાનજનક નિવેદન આપવાની આદત છે


રાહુલે 3 એપ્રિલે કોર્ટમાં અરજી કરી હતી


3 એપ્રિલના રોજ, રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં તેમની સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી હતી. કાયદાકીય નિષ્ણાતોના મતે જો કોર્ટ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે છે તો તેમની લોકસભાની સદસ્યતા ફરીથી મળી જશે.


આ મામલામાં સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદી તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિરુદ્ધ 10થી વધુ અપરાધિક માનહાનિના કેસ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ તેમને ફટકાર લગાવી છે. પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું હતું કે કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ પણ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેમણે કોઈ ભૂલ કરી નથી. કોર્ટમાંથી મળેલી સજાને કારણે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, પરંતુ તેઓ ચૂંટણી અને તેમની જીત માટે દલીલ કરી રહ્યા છે. વકીલે કહ્યું કે રાહુલ ગાંધીને યોગ્ય સજા મળી છે, જ્યારે તેઓ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેઓ સંપૂર્ણ હોશમાં હતા.


સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ વર્ષે 23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 13 એપ્રિલ, 2019 ના રોજ ચૂંટણી રેલીમાં તેમની "મોદી સરનેમ" ટિપ્પણી બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી.