દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. લાંબા સમયની રાહ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહી છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે, બીજી તરફ સુરત અને વલસાડ જેવા મોટા શહેરોમાં પ્રથમ સામાન્ય વરસાદમાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.
સુરત શહેરમાં આજે અડધો ઈંચ, અરેઠમાં એક ઈંચ જ્યારે મજુરાગેટ, ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સામાન્ય વરસાદના કારણે ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં તેમજ ઉધના અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. સ્થાનિકો રોષે ભરાયા છે કે હજુ સત્તાવાર ચોમાસું બેઠું નથી ત્યાં જ જો મનપાના પ્રિ-મોનસૂન પ્લાન પર પાણી ફરી વળ્યું હોય, તો આગામી દિવસોમાં ભારે ચોમાસા દરમિયાન શહેરની શું સ્થિતિ થશે? આ સિવાય સુરતના ગ્રામ્ય વિસ્તારો જેવા કે પલસાણા, માંડવી અને ઉમરપાડામાં પણ વીજળીના કડાકા સાથે સારો વરસાદ નોંધાયો છે.
સુરતમાં પ્રથમ વરસાદમાં જ મનપાની પોલ ખુલી છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા છે. ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં ચોમાસાના આગમનની કેટલી જોવી પડશે રાહ? જાણો હવામાન વિભાગની આગાહી
વલસાડ અને વાપીમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વાપીના સલવાવ ગુરુકુળ સામે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં રાહદારીઓ અટવાયા હતા, જ્યારે વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ તરફ નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ અને ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસેલા વરસાદને પગલે હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી, પરંતુ લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.
નવસારી જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદ વરસ્યો હતો. સવારથી જ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ તરફ ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો.ગઈકાલે પણ નવસારીમાં વરસાદ વરસ્યો હતો.આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. હજુ પણ સારો વરસાદ વરશે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે.તો આ તરફ લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી છે.
