સુરત:  સુરત હીરા બાગ ખાતે મંગળવારે રાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જે યુવતીનું મોત થયું તે ગોઆમાં મેરેજ એનવર્સરી મનાવીને પરત આવી રહી હતી. મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ પર બેઠા હતા. તેની જ નીચે બ્લાસ્ટ થયો હતો. 


જે બસનો અકસ્માત થયો તે રાજધાની ટ્રાવેલ્સ ભાવનગર આવી રહી હતી. જેમાં લગ્નની બીજી મેરેજ એનવર્સરી ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઇ ગયો હતો. ભાવનગરના વિશાલ અને પત્ની તાન્યાને લગ્નના બે વર્ષ પૂરા થતાં તેઓ ગોઆ ફરવા ગયા હતા. 


તેઓ એનવર્સરીની ઉજવણી કરીને ફ્લાઇટમાં અમદાવાદથી ભાવનગર આવવાના હતા. જોકે, ગોવા-અમદાવાદની ફ્લાઇટના બદલે દંપતીને ગોવા-સુરતની ટિકિટ અપાતા મંગળવારે સાંજે દંપતી સુરત એરપોર્ટ ઉતર્યું હતું. તેમજ ત્યાંથી રાજધાની ટ્રાવેલ્સમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા, તે સમયે બસને અકસ્માત નડ્યો હતો. 


બસમાં લાગેલી આગમાં વિશાલ દાઝી ગયો હતો. જ્યારે તેની પત્ની તાન્યાનું બસમાં ફસાઇ જવાના કારણે મોત થયું હતું. વિશાલને અત્યારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બસમાં આગ લાગવાની ઘટના બનતા સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.