સુરતઃ ગત રવિવારે બપોરે શહેરના પાંડેસરા ખાતેના જય અંબેનગરમાંથી બિહારી દંપતિના કાહેવાયેલા મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોસ્ટમોર્ટમ બાદ ચોંકવનારો ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમમાં બિહારી દંપતી પૈકી પત્નીનુ ગળું દબાવી હત્યા થઈ હોવાની હકીકત સામે આવી હતી. ઘટના સ્થળના સંજોગો જોતા પતિએ જ તેની પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ જાતે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અનુમાનના ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.


મૂળ બિહારના પતિ પત્નીની કોહવાયેલી લાશો મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે.બે  મહીના પહેલા બિહારથી સુરત રહેવા આવ્યા હતા. બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યું હતું. ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી. 


સુરત શહેરના પાંડેસરા જય અંબેનગરમાં આવેલા એક ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી ગત રવિવારે આજુબાજુના સ્થાનિક લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસની તપાસમાં ઘરમાંથી એક યુવકની ફાંસો ખાઘેલી હાલતમાં લટકતી લાશ, તો બીજી બાજુ જમીન પર પડેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. 


પોલીસ તપાસ દરમિયાન બંનેની ઓળખ પતિ- પત્ની તરીકે અને તેમના નામ રણજીત કુમાર સુરેન્દ્ર શાહ તથા સુશિલા કુમારી રણજીતકુમાર શાહ હોવાની હકીકત સામે આવી હતી. બંનેના મૃતદેહ કોહવાઈ ગયા હોય શરૂથી પાંડેસરા પોલીસને આ કેસમાં કંઈક અજુગતું બન્યુ હોવાની શંકા હતી. જે શંકા સોમવારે થયેલા પોસ્ટમોર્ટમ બાદ સાચી ઠરી હતી. 


પીએમમાં સુશિલાકુમારીનું ગળું દબાવી હત્યા થઈ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.પોલીસ  તપાસ દરમિયાન કોઈ કારણસર રણજીતકુમાર અને સુશિલાકુમારી વચ્ચે વિખવાદ થતાં આવેશમાં આવી તેણી પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ પોતે પણ ફાંસો ખાઈ લીધો હોવાની શકયતા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે પરીવારજનોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી છે. વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે. 2 મહિનાથી રહેવા માટે આવેલા રણજીત અને તેની પત્ની રૂમની બહાર બહું ઓછું નિકળતા હતા. તે કોઈ કામધંધો કરતો હતો કે કેમ તે પણ પાડોશીઓ જાણતા ન હતા અને તેમના નામ પણ જાણતા ન હતા. બન્ને પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેમની ઓળખ થયા બાદ વતનમાં રહેતા સંબંધીનો પોલીસે સંપર્ક સાધ્યો હતો.