સુરતઃ શહેરમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. 


પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પિતા અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે મારી 31 વર્ષીય દીકરી પ્રિય વંદના ઉર્ફે પિંકી અને 3 વર્ષીય રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.


જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લાં સાડાત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રીમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે, જેથી તેને સજા થવી જોઈએ.


સાડા ત્રણ વર્ષથી દીકરીએ પિયરમાં આશ્રય લીધો હતો. લગ્નના પહેલા જ મહિનેથી સાસુ અને જમાઈ પ્રેગનેન્સીને લઈ માનસિક હેરાનગતિ કરતા હતા. સીમંતના એક દિવસ પહેલા દીકરી પિયર આવી ગઈ હતી. સીમંત વગર દીકરીએ દીકરાને જન્મ આપ્યો હતો. ખૂબ જ દુઃખ સહન કરીને પણ દીકરી જમાઈને જ પ્રેમ કરતી હતી ને કહેતી હતી કે મારા દીકરાનો બાપ એક જ રહેશે.


વધુમાં જણાવ્યું હતું કે સગર્ભા સમયમાં સાતમા મહિને દીકરી અને એના ગર્ભમાં ઉછળી રહેલા બાળકને કમળો થઈ ગયો હતો. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડ્યો પણ જોવા શુદ્ધા આવ્યા નહીં. સાડા ત્રણ વર્ષ દીકરી અને પૌત્ર મારા ઘરમાં રહ્યા પણ એક દિવસ જો જમાઈ જોવા કે મળવા આવ્યા હોય, આટલી લાંબી રાહ તો કોઈ ન જૂએ. વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીએ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે ત્યારબાદ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. બસ હું એટલું જ ઈચ્છું છું કે મારા વેવાઈઓને કડકમાં કડક સજા થાય. એમ મા પોતાના લાડકા દીકરાની હત્યા કેવી રીતે કરી શકે, મારી દીકરીને આવું પગલું ભરવા માટે મજબૂર કરનાર આખી જિંદગી જેલમાં સડેએ જોવા માગું છું.પિતાની જવાબદારીથી ભાગતા પતિને જોઈ પત્ની માનસિક તણાવમાં હતી.


વધુમાં જણાવ્યું હતું કે L&Tમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા જમાઈ પાસે પોતાના જ બાળકને પ્લે ગ્રુપમાં મૂકવા માટે પૈસા ન હોવાનું કહેતા દીકરી માનસિક તણાવમાં આવી ગઈ હતી. એક પિતાની જવાબદારીથી ભાગતા પતિને જોઈ રહેલી દીકરીને બધી મદદ કરતા હતા. પણ એ એક જ વાત કરતી હતી કે મારે તો બસ સતીશ સાથે જ રહેવું છે એ નહીં તો કોઈ નહીં, મારા દીકરાનો બાપ એક જ રહેશે. રાત-દિવસ પતિ અને એના પ્રેમથી દૂર રહેલી દીકરી આવું અંતિમ પગલું ભરશે એનો ખ્યાલ પણ નહોતો. ભગવાન એની આત્મા ને શાંતિ આપે.



રાંદેર ઊગત રોડ વિસ્તારમાં રહેતી માતાએ પોતાના જ ત્રણ વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે. સુસાઈડ નોટ પ્રમાણે, આપઘાત કરનારી મહિલા તેના પતિ સતીષના અફેર અંગે જાણતી હતી. જ્યારે પતિને સપોર્ટ કરતી માતા સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.


સુસાઈડ નોટમાં પતિ અંગે શું લખ્યું?
કાશ! સતીશ, તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં. શું કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.



સુસાઈડ નોટમાં દીકરાની હત્યા અંગે આ પ્રમાણે લખ્યું હતું. મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. તે જીવતે તો તેની જિંદગી બરબાદ થઈ જતે. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારી નાખતા વખતે હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રિશુ, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.