સુરતઃ ભાજપમાં બીજી પાર્ટીમાંથી નેતાઓને પાર્ટીમાં લાવવાના કાર્યક્રમ સામે જુના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં ભાજપના એક નેતાની નારાજગી સામે આવી છે. જે પક્ષના કાર્યકરો સામે ભાજપના પાયાના કાર્યકરો લડતા હતા તેને જ પક્ષમાં ભરતી કરાતાં હવે કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા હવે ખુલીને સોશ્યલ મિડિયા પર વિરોધ કરી રહ્યાં છે.


લિંબાયત વિસ્તારના છગન મેવાડાને ભાજપમાં પ્રવેશ આપવાની સાથે જ પરવટ- લિંબાયત વિસ્તારના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે છગન મેવાડાને ભાજપમા પ્રવેશ આપવાની સાથે જ સોશિયલ મિડિયા પર જે પોસ્ટ મુકી હતી તે વાયરલ થઈ રહી છે. 




રાજુ અગ્રવાલે લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીમાં ભરતી અભિયાન ચાલુ છે, કોઈ પાછળનો ઈતિહાસ જોવામાં આવતો નથી. કોઈ પણ પાર્ટીના હોય તે ચાલશે. કેવો પણ કાર્યકર હોય બસ ભાજપમાં ભરતી થઈ જાવ. આ ઉપરાંત ભાજપને પોતાના કાર્યકરોમાં વિશ્વાસ નથી તેવી પોસ્ટ મુકી હતી. 


આ કોંગ્રેસી મુખ્યમંત્રીના પિતાએ બ્રાહ્મણો વિરૂદ્ધ શું કહ્યું કે  15 દિવસ માટે જેલભેગા કરાયા ? હિંદુ ધર્મ છોડી બન્યા છે બૌધ્ધ........


રાયપુરઃ છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભુપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની બ્રાહ્મણ સમાજ અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. નંદકુમાર બઘેલને કોર્ટે 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પણ પોતાના પિતાના નિવેદનને વખોડયું હતું અને કહ્યું હતું કે,  આ પ્રકારના નિવેદનો ન કરવા જોઇએ અને કાયદા પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 


નંદકુમાર બઘેલે ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ પછી બ્રાહ્મણોને ‘વિદેશી’ ગણાવીને કહેલું કે, હવે એનું નહીં ચાલે કે, વોટ અમારા ને રાજ બ્રાહ્મણોનું. બ્રાહ્મણો પરદેશી છે તેથી તેમને ગંગાથી વોલ્ગા મોકલી દઈશું. જે રીતે અંગ્રેજો આવ્યા ને જતા રહ્યા એ રીતે બ્રાહ્મણો પણ સુધરી જાય કે પછી ગંગાથી વોલ્ગા જવા તૈયાર રહે. વોલ્ગા રશિયાથી યુરોપમાં વહેતી નદી છે અને યુરોપની સૌથી લાંબી નદી છે.


ભૂપેશ બઘેલ ઓબીસી સમુદાયમાંથી આવે છે પણ તેમના પિતાની ઈમેજ હિંદુઓએની જ્ઞાતિ પ્રથા સામે લડનારા નેતા તરીકેની છે. નંદકુમાર બઘેલે હિંજુ ધર્મ છોડીને બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો છે.


ભુપેશ બઘેલના 86 વર્ષીય પિતા નંદકુમાર બઘેલની રાયપુર પોલીસ દ્વારા દિલ્હીમાંથી ધરપકડ કરીને રાયપુર લાવવામાં આવ્યા હતા. તેમની સામે રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ સર્વ બ્રાહ્મિણ સમાજ નામના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. 


આ ફરિયાદમાં દાવો કરાયો છે કે,  નંદ કુમાર બઘેલે બ્રાહ્મણોને વિદેશી ગણાવ્યા હતા અને તેમને પોતાનાં ગામોમાં પ્રવેશવા નહીં દેવા એવું  નાગરિકોને કહ્યું હતું. સંગઠનનો આરોપ છે કે, નંદકુમાર બઘેલે કહ્યું હતું કે બ્રાહ્મણો વિદેશી હોવાથી તેમને આ દેશમાંથી કાઢી મુકવા જોઇએ.  તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો હોવાનું પણ સંગઠને પોલીસ ફરિયાદમાં કહ્યું છે. સમગ્ર વિવાદ અંગે ભુપેશ બઘેલે કહ્યું હતું કે મારા પિતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન નથી કરતો.