સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં કોરોના વોરિયર્સનું બીમારી બાદ નિધન થયું છે. સુરત સિવિલ હોસ્ટિપલના હેડ નર્સનું મોત થયું છે. હેડ નર્સ રશ્મિતા પટેલ બે દિવસથી તાવ આવતા સારવાર લઈ રહ્યા હતા. તેમણે તાવ આવતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રશ્મિતાબેન સુરત સહિત રાજ્યભરના નર્સિંગ સ્ટાફ માટે પથદર્શક હતા. રશ્મિતાબેનના નિધનથી સુરતના નર્સિંગ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 965 કેસ નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 48441 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 20 લોકોનાં મોત થયા છે અને 877 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 34882 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.

આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન -6, સુરત કોર્પોરેશનમાં 6, સુરત-3, દાહોદ 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1 અને જામનગરમાં 1 મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2147 પર પહોંચ્યો છે.