Surat Corona Cases: ગુજરાતમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  ગઈકાલે 15 મોત થયા હતા.


સુરતમાં ગઈકાલે 2488 કેસ નોંધાયા હતા. આ સાથે શહે- જિલ્લામાં ચાર દર્દીના મોત થયા હતા. જ્યારે 3302 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 526 કેસ નોંધાયા છે. નવા કેસમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકનો પણ સમાવેશ થાય છે. કોરોનાના રોકેટ ગતિએ વધી રહેલા કેસો વચ્ચે અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદનમાં જિલ્લા કલેકટર આયુષ ઓક તેમના પી.એ સહિત છ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા તમામ તકેદારીના ભાગરૃપે હોમ આઇસોલેટ થઇ ગયા છે.


કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા કેસોની સંખ્યામાં એક પછી એક અધિકારી અને કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે. જેમાં જિલ્લા સેવાસદનમાં જિલ્લા કલેકટર આયુષ ઓક તેમના અંગત મદદનીશ, ચીટનીશ અને ડિઝાસ્ટર બ્રાન્ચના ડેપ્યુટી મામલતદાર સહિત છ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે.  તેમણે કહ્યું કે, હાલની સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં બે વખત કોરોનાના ટેસ્ટ કરાવતા હતા. આજે રિપોટ પોઝીટીવ આવતા હોમ આઇસોલેટ થયા છે. હાલમાં શરદી, ખાંસી અને તાવ છે પણ તબિયર સ્થિર છે.


સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ


સુરત શહેર જિલ્લામાં 88 કેસના ઘટાડા સાથે નવા 2488 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,90,848 પર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં 1 અને જિલ્લામાં 3નાં મોત સાથે મૃત્યુઆંક વધીને 2148 થયો છે. આજે શહેરમાંથી 3302 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,63,942 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 24,758 એક્ટિવ કેસ છે.