સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે, ત્યારે કોરોનાને નાથવા સુરત કોર્પોરેશને નવી સ્ટ્રેટેજી અપનાવી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરશે.


માર્કેટો, બજારો, ભીડવાળા વિસ્તારોમાં કોમ્બિંગ કરાશે. પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે 4 લોકો ભેગા ન થઇ શકે છતાં શાકમાર્કેટ, હીરાબજાર અને કાપડ માર્કેટમાં થતી ભીડ ઘાતક છે. ભીડને રોકવા માટે હવે મનપા કોમ્બિંગ સ્ટ્રેટેજીથી કામ કરશે.

રાજ્યમાં ગઈ કાલે 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં મળી કુલ 11 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા હતા.

કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં ગઈ કાલે કુલ 1372 દર્દી સાજા થયા હતા અને 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,87,748 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 410 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.