સુરતઃ સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા દોષિતને ફાંસીની સજા સંભળાવી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી.


નોંધનીય છે કે ગયા વર્ષે બનેલી આ ઘટનામાં ગોડાદરામાં રહેતો આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષીય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. બાદમા પકડાઇ જવાના ડરે બાળકીની હત્યા કરી લાશને પોતાની જ રૂમમાં એક કોથળામાં ભરી સંતાડી દીધી હતી.  થોડા સમય બાદ બાળકી ના મળતા સોસાયટીમાં બાળકીના માતા પિતા અને અન્યો સાથે આરોપી અનિલે બાળકીને શોધવાનો ઢોંગ કર્યો હતો. જોકે, બાદમાં આરોપી  બિહાર ફરાર થઇ ગયો હતો.

જોકે, બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ચકચારી કેસમાં સરકારે કેસ જલદી ચલાવવાની તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ,મેડિકલ પુરાવવા,FSL પુરાવવા,સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી.289 દિવસમાં આરોપીને કસુરવાર ઠેરવી કોર્ટે ફાંસીની સજા આપી હોવાના કારણે બાળકીના માતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી.