સુરતઃ રાજ્ય સરકારે જાહેરનામુ પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશે નહી. આ બાબતને લઈ એબીપી અસ્મિતા એ રીયાલીટી ચેક કરતા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેક્સીનેશન માટે ટેકસટાઇલ માર્કેટમાં કામદારો અને વ્યાપારીઓની પડાપડી જોવા મળી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ જેજે માર્કેટમાં રોજ 1000 થી 1200 લોકો લાઈન લગાવી ઉભા રહે છે. પરંતુ માત્ર 200 થી 250 લોકો નુજ વેક્સીનેશન થાય છે.


આખા રાજ્યમાં કોઈને કોઈ રીતે અત્યારે વેક્સિનેશનમાં સમસ્યા સર્જાય છે, જેનાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટથી લઈ તમામ વેક્સીનેશન સેન્ટર પર ભીડ થાય છે. ક્યાંક વેક્સિન નથી જેનાથી સેન્ટર ઘટાડો કરાયા છે. જ્યાં લાઈન લાગે છે ત્યાં વેકસીન પર્યાપ્ત નથી, તો જે પ્રમાણે સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ છે તે પ્રકારે વેપારીઓ અને તેમના કર્મચારીઓ કઈ રીતે સમયસર વેક્સિન લઈ શકશે તે મોટોપ્રશ્ન છે.


સુરતમાં 165 ટેક્સટાઇલ માર્કેટ છે. 70 હજાર કપડા દુકાનો છે. 350 ડાઈન્ગ પ્રિન્ટિંગ યુનિટ છે. સંપૂર્ણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં 10 લાખથી વધુ કામદાર અને વ્યાપારી છે. 1 મહિનાનો સમય અપાયો, પરંતુ વેક્સીનેશન સેન્ટર ઓછા છે. સ્ટાફ ની સંખ્યા ઓછી છે. ગઈકાલે 230 લોકોનું વેક્સીનેશન કરાયું હતું. આજે ફરી લાંબી લાઈન લાગી હતી. ત્યારે કાપડ વ્યાપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા સમયમાં આટલી મોટી સંખ્યામાં વેક્સીનેશન કઈ રીતે થઈ શકશે. વ્યાપારીઓએ માંગ કરી છે કે વેક્સીનેશનના સમય અને સેન્ટરોમાં વધારો કરવામાં આવે.


'ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ અપાયા, સરકાર નૌટંકી છોડે ને રસીકરણ પર ધ્યાન આપે'


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ રસીકરણ મહાભિયાન હાથ ધરાયું હતું. જોકે, થોડા જ દિવસોમાં રસીની અછત સર્જાવા લાગી છે. ત્યારે ગુજરાતમાં કોરોના રસીકરણને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 


કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. રસીકરણ સેન્ટર બંધ પડ્યા છે. લોકો ધક્કા ખાઈને રસી લીધા વગર જ પરત ફરી ર્હયા છે. સરકાર હવે નૌટંકી છોડે અને રસીકરણ પર ધ્યાન આપે.