સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધ્યું છે. બીજી તરફ ભાજપના જ નેતાઓ વડાપ્રધાન મોદીની સલાહને ઘોળીને પી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર (દો ગજ કી દૂરી) સોશિયલ ડિસ્ટન્સ માટે અપીલ કરાતી હોવા છતા ભાજપના નેતાઓ જ તેનું પાલન કરતા નથી.


બારડોલીમાં ગુરુવારે હજારો લોકોની વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે કાર્યક્રમ યોજ્યો હતો. સંદિપ દેસાઇની સુરત જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ પર અભિવાદનનના નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિ રહ્યા હતા. રેલીમાં કેટલાક લોકો માસ્ક વગર નજર પડ્યા, તો સભામાં દો ગજ કી દૂરી(સોશિયલ ડિસ્ટન્સ) જોવા મળી નહોતી. ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ બારડોલીમાં બાઇક રેલી સાથે સભા પણ કરી હતી.

કાર્યક્રમમાં 200 લોકોની અનુમતી ન હોવા છતા હજારો કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આ અંગે સંદિપ દેસાઇએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી, ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ હોય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાને માસ્ક- સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી. ઉત્સાહમાં કાર્યકર્તા કદાચ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય, તો અમે માસ્ક રાખેલા હતા અને માસ્ક આપવાની કામગીરી અમે કરતા હતા.

તેમણે 200થી વધુ લોકો હાજર રાખવા મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક થતાં સ્વાભાવિક છે કે કાર્યકરોમાં ઉત્સાહમાં હોય છે, તેને ધ્યાનમાં રાખીને કાર્યકરો આવકારવા માટે આવેલા હતા. અમે સોશિયલ ડિસ્ટન્સ રાખવા પ્રયાસો કરેલા. પરંતુ કોઈ સંજોગોમાં નહીં જળવાયું હોય, તો જળવાવું જોઇતું હતું. કાર્યકરોએ પણ પોતાની ફરજ સમજીને જાતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઇએ, તેમ મારું માનવું છે.