સુરતઃ સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. કોરોનાથી મહિલાના મૃત્યુના 11માં દિવસે સિવિલમાંથી તેમના પુત્રને કોલ આવ્યો કે તમારી માતાની તબિયત સારી છે. દસમાની વિધિ આટોપી બારમાની તૈયારી કરતા મૃતકના પરિવારને આ ફોનથી આઘાત લાગી ગયો હતો.


નવી સિવિલ હોસ્પિટલમાંથી માતા જીવતા હોવાનો ફોન આવતા પુત્ર વિચારમાં મુકાયો છે કે, પોતાને અન્ય મૃતદેહ તો નથી સોંપી દેવાયો ને? માતાના મૃત્યુને 11 દિવસ વીતી ગયા છતાં નવી સિવિલમાંથી કોલ આવે છે, માતાની તબિયત સારી છે. જોકે, મહિલાના પુત્ર દ્વારા તેમના માતાનું નિધન થયું હોવાનું જણાવતા કંટ્રોલ રૂમથી બોલતી વ્યક્તિએ માફી માંગી હતી. જોકે, પુત્ર દ્વારા તેમને ફરી એક વખત ચેક કરીને ફોન કરવામાં જણાવાયું હતું. નોંધનીય છે કે, બમરોલી રોડ પર રહેતા મહિલાનું કોરોનાથી મોત થયું હતું.