Surat News: ગુજરાતી યુવાનોમાં અભ્યાસ માટે વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે. જેનો લાભ કેટલાક લેભાગુ લોકો ઉઠાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે.સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરાયા હતા. 20.66 લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા હતા. ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણ વિસ્તારમાં ક્રિપા એજન્સીના નામે ઓફિસ ચલાવતા હતા, જ્યારે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં આઠથી વધુ લોકો ભોગ બન્યાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન અનેક આ પ્રકાર કૌભાંડ સામે આવે તેવી શકયતા છે.


શું છે મામલો


અડાજણના વુડ સ્કેવરમાં આવેલી ક્રિપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓ એ યુ. કે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી રૂ. 20.66 લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભુર્ગભમાં ઉતરી ગયા હતા. જેથી તેમની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.


સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા પ્રકાશ પ્રભુભાઇ ઉમરીયા (ઉ.વ. 40) એ ખેતીકામ છોડી કેનેડા જવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત કામ અર્થે સુરત આવ્યો ત્યારે રસ્તા ઉપર સ્ટુડન્ટ અને વર્ક વિઝા ઉપર કેનેડા અને યુ. કે જેવા દેશોમાં મોકલાવતી ક્રિપા એજન્સીના જાહેરાતના બોર્ડ જોય ટેલિફોનીક સંર્પક કર્યા બાદ ઓક્ટોબર 2020 માં અડાજણના એલ.પી સવાણી રોડ સ્થિત વુડ સ્કેવરમાં આવેલી ઓફિસે ગયો હતો. જયાં ઓફિસ સ્ટાફે અમારી મેઇન ઓફિસ વડોદરામાં છે. માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને તેમનો ભાઇ કલ્પેશ અરવિંદ ચૌહાણ  ઇમીગ્રેશન એજન્ટ તરીકે કામ કરે છે.


 તમે ખેડૂત છો એટલે કેનેડામાં એગ્રીકલ્ચરમાં વર્ક પરમીટ વિઝા મળી જશે. જેના માટે 35 હજાર કેનેડીયન ડોલર ખર્ચ થશે અને ટુક્ડે-ટુક્ડે પૈસા ચુકવવાના રહેશે.. જેથી પ્રકાશે ટુક્ડે-ટુક્ડે ચેક અને 18 ટકા જીએસટી નહીં ભરવો પડે તે માટે રોકડા રૂ. 3 લાખ મળી કુલ રૂ. 6.86 લાખ ચુકવ્યા હતા. જે અંતર્ગત સહી-સિક્કા વગરનો ભાવેશ ચૌહાણે ઓફર લેટર આપ્યો હતો અને જુન 2023 સુધીમાં એલ.એમ. આઇ લેટર આવી જશે અને નહીં આવે તો તમારા રૂપિયા પરત મળી જશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ કેનેડામાં વિઝા ઓપનનો સ્લોટ બે મહિના બાદ શરૂ થવાનો છે એમ કહી ધક્કે ચડાવવા ઉપરાંત કલ્પેશ ચૌહાણનો સંર્પક કર્યો હતો. પરંતુ કલ્પેશે પણ વાયદા કર્યા હતા. જેથી ભાવેશનો સંર્પક કરતા તેણે તમારા રૂપિયા ભુલી જાવ, હવે તમને મળશે નહીં એમ કહી રાતો રાત ઓફિસને તાળા મારી બંને ભાઇ ભુર્ગભમાં ઉતરી ગયા હતા.  


કોણ-કોણ ભોગ બન્યું ?



  • જયરાજસિંહ હનુભાઈ મકવાણા (રહે. ગૃહમ લક્ઝુરીયા, ઓરમા-માસમાં રોડ, ઓલપાડ) રૂ. 1.50 લાખ

  • મોહમદ રીયાઝ ગુલામ ખાવાઝા શેખ (રહે. મૃગવાનનો ટેકરો, બેગમપુરા, સુરત) રૂ. 50 હજાર

  • જયેશકુમાર કાંતીલાલ કથારીયા (રહે. સાંઇ મિલન રેસીડેન્સી, પાલનપુર ગામ, સુરત) રૂ. 1 લાખ

  • વિરલ ભાનુભાઇ વાઘેલા (રહે. સ્વજન્ય એપાર્ટમેન્ટ, ઇસનપુર, અમદાવાદ) રૂ. 80 હજાર

  • કરણ નરેશ ગોનાવાલા (રહે. અંબિકાનગર સોસાયટી, ગોવાલક-બમરોલી રોડ, સુરત) રૂ. 3 લાખ

  • રાકેશ ભુપત પાલડીયા (રહે. ભક્તિ હાઇટસ, અમરોલી) રૂ. 1.50 લાખ

  • હિમાંશું અનિલ પંડયા (રહે. શીવસાગર સોસાયટી, છાપરા ભાઠા રોડ, અમરોલી) રૂ. 4 લાખ

  • ફરહાન સાદીક રાંદેરી (રહે. શાબરીનગર, ભરીમાતા રોડ, ફુલવાડી, સુરત) રૂ. 1.50 લાખ