Surat: સુરતના હીરા વેપારી સાથે ફરી એકવાર છેતરપિંડીની ઘટના ઘટી છે, એક ગઠીયા ટોળકીએ વેપારીને હીરા લેવા માટે નેપાળ બોલાવ્યા હતા, જ્યાં તેમની પાસેથી 6 લાખથી વધુની રકમ લૂંટીને ફરાર થઇ ગયા હતા. ખાસ વાત છે કે, સુરતનો હીરા વેપારી સસ્તાં હીરા લેવાની લ્હાયમાં નેપાળ ગયો હતો, જ્યાં આ ઘટના ઘટી હતી. હાલ હીરા વેપારીએ આ ઠગ ટોળકી વિરુદ્ધ સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરતના વેપારીને સસ્તાં હીરા ખરીદવાનો શોખ ભારે પડ્યો છે. એક ઠગ ટોળકીને સુરતના હીરા વેપારીને સૌથી પહેલા સસ્તાં હીરા આપવાનું કહ્યું હતુ, બાદમાં આ હીરા વેપારી સસ્તાં હીરા ખરીદવાની લ્હાયમાં નેપાળ પહોંચ્યો હતો. ઠગ ટોળકીએ સુરતના હીરા વેપારીને કહ્યું હતુ કે, મુંબઇના હીરા બજારમાંથી એક પેઢીએ ઉઠમણું કર્યું છે, જેની પાસે આશરે ૫૦ લાખથી વધુની રકમના ફેન્સી હીરા અને હીરાની રફ છે, ઉઠમણું કરનાર પેઢીનો માલિક અત્યારે નેપાળ આવ્યો છે. જો તમારે આ હીરાનો જથ્થો સસ્તી કિંમતે ખરીદવો છે, તો જલ્દીથી નેપાળ આવી જાઓ. ઠગ ટોળકીએ કહ્યું કે, હીરાનો વેપારી નેપાળથી નીકળી જાય એ પહેલા તમે ખરીદી કરવા આવી અહીં આવી જાઓ. આમ કહીને સુરતના હીરા વેપારીને નેપાળ બોલાવાયા હતા.


આ પછી નેપાળમાં ઠગ ટોળકીએ હીરા વેપારી પાસેથી ૧,૩૧,૦૦૦ની ૨કમ અને તેના સગા સંબંધીઓ, મિત્રો પાસેથી બીજા વધુ ૬.૫૦ લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હતા, આમ કુલ ૬.૫૬ લાખ રૂપિયાની રકમ લૂંટી લીધી હતી. એટલુ જ નહીં હીરા વેપારીને ઠગ ટોળકીનો આરોપી રોહિત જેને ધમકી આપી હતી કે, જો નેપાળમાં પોલીસને જાણ કરશો તો જીવ પણ ગુમાવવો પડશે. આ ઘટના બાદ સુરતનો હીરા વેપારી નેપાળમાંથી આ ગઠિયા રોહિતની ટોળકીની ચૂંગાલમાંથી છૂટીને સુરત પરત ફર્યો હતો. ઘટના બાદ ફરિયાદી અલ્પેશ કાકડિયાએ સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ઠગ ટોળકીના રોહિત રંગાણ સહિત તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.