સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથીરિયાની આજે જેલમુક્તિ થઇ હતી. તેની જેલમુક્તિને લઇને પાટીદાર યુવાઓ અને તેવા સમર્થકોએ નારા લગાવ્યા હતા. અલ્પેશને હાઇકોર્ટે જામીન આપ્યા હતા. અલ્પેશે જેલમુક્તિ બાદ કહ્યુ હતું કે હું અને હાર્દિક સાથે છીએ અને રહીશું.


નોંધનીય છે કે અલ્પેશ કથીરિયાએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પર કોર્ટે જામીની મંજૂરીની મ્હોર લગાવી દીધી હતી. બાદમાં અલ્પેશ કથીરિયાને જામીન આપવામાં આવ્યા છે. જોકે, શરતી જામીન હોવાથી અલ્પેશ કથીરિયા સુરતમાં નહીં જઇ શકે.
ઉલ્લેખનીય છે કે, પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના કેસમાં હાલ જેલમાં બંધ હતો. આ અગાઉ પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરવાના આરોપ તેમજ પોતાની આઝાદીના દુરુપયોગના આક્ષેપોને લઇને સરકારે સુરત કોર્ટમાં જામીન રદ્દ કરવા અરજી કરી હતી. બાદમાં સુરત સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ્દ કર્યા હતા.

જોકે, બાદમાં જામીન રદ્દ થતાં અલ્પેશ કથીરિયાની પોલીસે ધરપકડ કરી હતી. ફરીથી જામીન મેળવવા અલ્પેશે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, આ અરજી પણ નામંજૂર થતા અલ્પેશ કથીરિયાએ છેલ્લે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે આ મામલે હાઇકોર્ટે શરતી જામીનની મંજૂરી આપી દીધી છે.