સુરત: 3 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને ગુજરાતમાં પોક્સો કોર્ટ દ્વારા પ્રથમ વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે આ આરોપી દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરતા નામદાર હાઈકોર્ટે આ સજા બરકરાર રાખતા સુરત કોર્ટ દ્વારા આરોપીને ડેથ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે અને આગામી 29 ફેબ્રુઆરી સવારે 4.30 વાગે અમદાવાદની જેલમાં ફાંસી આપવામાં આવશે.


ઓક્ટોબર મહિનામાં સુરતના લીંબાયત વિસ્તારમાં 3 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ લીંબાયત પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકીની ભાળ ન મળતાં સુરત પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને 100 કરતા વધુ જવાનોએ બાળકીની શોધખોળ માટે સમગ્ર વિસ્તારના એક-એક ઘરમાં તપાસ શરૂ કરી હતી.

આખરે બે દિવસ બાદ બાળકી તે જે મકાનમાં રહેતી હતી તેના નીચેના મકાનની એક રૂમમાંથી કંતાનના કોથળામાંથી મળી આવી હતી. આ બાળકીના પીએમ રિપોર્ટમાં તેની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી. આ ઘટનાએ તો સમગ્ર સુરતમાં ભારે ચકચાર મચાવતાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો.

આરોપી અન્ય કોઈ નહીં પણ બાળકીના પિતાનો મિત્ર અનીલ યાદવ જ હતો. આરોપી ગુનો આચર્યાં બાદ પોતાના વતન બિહાર ભાગી ગયો હતો. પોલીસે આરોપીને તેના વતન બિહાર જઈને ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ સુરત લઈ આવી હતી.

આરોપી વિરૂદ્ધ સુરતની સેસેન્સ કોર્ટમાં કેસ ચાલતાં સુરતની એડિશનલ સેસન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. પોક્સો એક્ટ આવ્યા બાદ ગુજરાતમાં આ પહેલો કેસ છે જેમાં તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ કેસમાં આરોપીએ હાઈકોર્ટમાં અપીલ હતી પરંતુ હાઈકોર્ટે સુરતની કોર્ટે આપેલી સજા બરકરાર રાખી હતી. જેને લઈને સુરતની કોર્ટે આરોપીને ડેથ વોરન્ટ ઈસ્યુ કર્યું છે જેમાં આગામી ફેબ્રુઆરીની 29 તારીખે સવારે 4.30 વાગે અમદાવાદની જેલમાં ફાંસી આપવામાં આવશે.