સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના સૌથી વધુ કેસો સુરતમાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પૈકીનું એક સુરત ટેક્સટાઇલ માર્કેટ (STM) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 19મી જુલાઇ સુધી આ માર્કેટ બંધ રાખવામાં આવશે.


નોંધનીય છે કે, અગાઉ કોરોનાનું સંક્રમણ વધતા સુરતમાં હીરા ઉદ્યોગને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પછી તેની ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવી હતી અને 10મી જુલાઇથી હીરા બજાર ખુલી હતી. તેમજ આજથી હીરાના કારખાના શરૂ થવાના છે. જોકે, કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ ન લેતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સુરત-અમદાવાદની એસ.ટી. બસ પણ બંધ કરી દેવામાં આવી હતી. તેમજ અમદાવાદના પ્રવેશ માર્ગો પર સુરતથી આવી રહેલા લોકોનો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે.