Surat: સુરતમાં એથર કંપનીમાં લાગેલી આગમાં સાત શ્રમિકોના મોત થયા હતા. આ ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.         

  


એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા. ઉધના મામલતદાર આશિષ નાયક પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છિનવાયો હતો. નબળી કામગીરી બદલ મામલતદાર પાસેથી ચાર્જ છીનવવામાં આવ્યો છે. આગની ઘટનાની જાણ કલેક્ટરને કરવામાં આવી નહોતી. ઈલેક્શન શાખાના મામલતદાર પ્રતિક જાખડને હવે આ જવાબદારી સોંપાઇ હતી.            


સાથે કંપનીને GPCBની મંજૂરી વગર ઉત્પાદન શરૂ નહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. એથર ઈન્ડસ્ટ્રીઝને પાંચ જેટલા રિપોર્ટ સબમિટ કરવાનો પણ આદેશ અપાયો હતો.


કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી


એથર ઈન્ડસ્ટ્રીઝે પત્રકાર પરિષદ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે.       


નોંધનીય છે કે સુરત સચિન જીઆઈડીસીમાં રોડ નંબર 8 પર આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેન્કમાં રાખેલા કેમિકલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સાત શ્રમિકોના મોત થયા હતા.