Surat News: સુરત શહેરના  નાના વરાછાની 56 વર્ષીય વિધવાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચ આપી 12.15 લાખ પડાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. વિધવા મહિલાને ઇન્સ્ટાગ્રામ ઉપર એક ઠગબાજે મિત્રતા થઈ હતી. જે બાદ પુરુષે લગ્ન કરી લંડન લઈ જવાની વાતો કરીને 12.15 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોધાઈ છે. 56 વર્ષીય વિધવા દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.


2005માં પતિનું મોત થયા બાદ મહિલાએ બનાવ્યું નવું આઈડી, 2022માં હાયનો આવ્યો મેસેજ ને શરૂ થઈ વાતચીત

2005માં પતિના મૃત્યુ બાદ મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની આઇડી બંધ કરી નવું ઍકાઉન્ટ બનાવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ઉપર આશીષ પટેલના નામની આઇડી પરથી ‘હાઇ’નો મેસેજ આવ્યો હતો.  જેથી એમણે તેને રીપ્લાય આપ્યો હતો.  ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં તેઓની વચ્ચે મિત્રતા થઈ હતી. પોતે વિધવા હોવાનું કહી તમામ હકીકત આશીષ પટેલને જણાવી હતી, જયારે આશીષ પટેલે પણ પોતે એકલો હોવાનું કહી લગ્નનો પ્રસ્તાવ મક્યો હતો.


વિદેશ જવાની ઘેલછામાં ભેજાબાજે વિધવા પાસેથી રોકડા બાદ દાગીના પણ પડાવી લીધા

પુરુષે લંડન ખાતે રહેતો હોવાનું કહી ૩ લાખ મોકલી આપવાની વાત કરી હતી. જેથી તેમણે સુરતથી આંગડિયા મારફતે રાજકોટ ખાતે પૈસા મોકલી આપ્યા હતા. ત્યારબાદ અન્ય રૂ. 2.15 લાખ પણ આશીષે મંગાવ્યા હતા.  તમામ પૈસા મળી ગયા હોવાનું જણાવ્યા બાદ તારી પાસે દાગીના હોય તો વિમાનમાં આવી શકાશે નહીં, જેથી મારા કામદાર મહેશ ગોસ્વામીને દાગીના લેવા મોકલીશ, તો તમારા બધા દાગીના આપી દેજો ત્યારબાદ તમે લંડન ખાતે આવજો તેમ કહ્યું હતું. સપ્ટેમ્બર 2022માં આશીષ પટેલે ફોન કરીને કામરેજ ચાર રસ્તા પાસે મહેશ ગોસ્વામી દાગીના લેવા માટે આવશે, ફોટો બતાવે તો દાગીના આપી દેજો તેમ કહેતા એમણે આશીષ પર આંધળો વિશ્વાસ મૂકી રૂા. 7 લાખના દાગીના મહેશ ગોસ્વામીને આપી દીધા હતા.


વાત-ચીત કરી દીધી બંધ

આશીષે દાગીના મળી ગયા હોવાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકી વાતચીત કરી હતી.  જોકે, ત્યારબાદ આશીષ ધીમે- ધીમે વાતચીત ઓછી કરી દીધી હતી અને તેમને કોઈ જવાબ આપતો નહોતો. તેમને પોતે છેતરાયા હોવાનું લાગતાં પોલીસ ફરિયાદ કરી હતી.