સુરતઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આજ સાંજ સુધીમાં આ માટેનું પોર્ટલ તૈયાર થઈ જશે, જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આનો સીધો ફાયદો સુરતમાં રહેતા 12 લાખ રત્નકલાકારોને થશે. સુરતથી વતન જવા માંગતા લોકો માટે ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતના રત્ન કલાકારોને પોતાના વતનમાં જવા દેવાની રજુઆત થઈ હતી. સૌરાષ્ટ્રના લોકોને વતન મોકલવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ તરીકે મંત્રી કિશોર કાનાણી, નગરપાલિકા કમિશ્નર એમ એસ પટેલ, ડીસીપી સુરત, ડીવાયએનસી સુરત અને ડે. કલેક્ટર નો કમીટીમા સમાવેશ કરાયો છે. કન્ટનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટમેન્ટ વિસ્તારમાં જવાની પરમીશન મળશે નહીં.



તેમણે જણાવ્યું હતું કે, આવતી કાલથી રજીસ્ટેશન શરૂ કરવામા આવશે. લોકોને જે જીલ્લાઓમા મોકલવામાં આવશે ત્યાં પણ તેમનાં જીલ્લામાં ચકાસણી કરવાની રહેશે. 14 દિવસ તેમણે ક્વોરોન્ટાઈનમાં રહેવું પડશે અને આગામી 30 દિવસ સુધી તેઓ પરત ફરી શકશે નહીં.

કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?

- પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા પછી પરમીશન મળશે.
- જેમને મંજૂરી મળી છે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.
- ચેક પોસ્ટ પર સહી સિક્કા કર્યા પછી વતન મોકલાશે
- મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
- શરદી- ઉધરસ- શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન અપાશે.
- વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે.
- હોમ ક્વોરેન્ટાઇન કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે.
- 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકશે નહીં.
- કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી અપાશે.