સુરતમાં મોડીરાત્રે કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, 50થી વધુ ફાયર ફાઇટરો કામે લાગ્યા
gujarati.abplive.com | 21 Jan 2020 08:12 AM (IST)
આગ કયા કારણોસર લાગી તેનુ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યુ નથી, પણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ મનાઇ રહ્યું છે
સુરતઃ સુરત શહેરમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. પુણા કુંભારીયા રૉડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં આગ લાગી હતી, આગમાં કોઇ જાનહાનિના સમાચાર નથી પણ મોટા પ્રમાણમાં માલહાનિ થઇ હોવાની શંકા છે. વહેલી સવારે 3.30 કલાકે રઘુવીર સેલિયમ માર્કેટમાં આગ લાગી હતી. હાલ અહીં બ્રિગેડ કૉલ જાહેર કરાયો છે, શહેરમાં તમામ ફાયર ફાઇટર અહીં આગ પર કાબુ મેળવવા માટે કામ લાગી ગયા છે. ઉપરાંત 3 હાઇડ્રૉલિક ક્રેનથી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. રાત્રે લાગેલી આગની લપેટોમાં આજુબાજુ વિસ્તારો પણ આવી ગયા છે, બેકાબુ બનેલી આગ કયા કારણોસર લાગી તેનુ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યુ નથી, પણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતના આ માર્કેટમાં 15 દિવસ અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી.