સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જુના ટ્રોમા સેન્ટર સામેથી મહિલાની લાશ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ૨૦ વર્ષીય અજાણી યુવતિની રહ્યસ્ય સંજોગોમાં લાશ મળી આવી છે. ગઈ કાલે સાંજે મહિલાનો મૃતદેહ મળી આવતા તંત્ર એલર્ટ થયું હતું. આ અંગે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ પેનલ પીએમ કરાવશે.


હાર્ટ એટેકથી વધુ એક મોત


રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. આ દરમિયાન રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે જાહેર થયેલા ધો. 10ના સીબીએસઈના પરિણામ બાદ એક માતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર સીબીએઈમાં ધો.10માં અભ્યાસ કરે છે. ગઈકાલે પરિણામ જાહેર થયા બાદ તેમના પરિવારમાં ખુશીનો માહોલ હતો. આ દરમિયાન વિદ્યાર્થીના માતા શીતલબા ખુશી વ્યક્ત કરતા હતા. તે સમયે હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો. જે તેમના માટે પ્રાણઘાતક નીવડ્યો હતો. જેના કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.


સુરતમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 લોકોનાં મોતથી હાહાકાર


સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં 1 મહિલા, 5 પુરુષ સહિત 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ છે. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં છેલ્લા 24 કલાકમાં 6  લોકોનાં મોત થયા છે. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને 6  લોકોના હાર્ટએટેકથી મોત થયા છે, જેમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે.


 



સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ છે. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 


સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.


અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.