સુરત: હાલમાં ગુજરાત સરકાર અનેક આંદોલનનો સામનો કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ સરકારી સંગઠનો મેદાને પજતા સરકારની ચિંતા વધી ગઈ છે. જો કે, રાજ્યમાં ચાલતા આંદોલનો હજી યથાવત છે ત્યાં સરકારે વધુ એક આંદોલનનો સામનો કરવો પડી શકે છે. હવે સુરતના ડાયમંડ વર્કર આંદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


સામે આવેલી વિગતો અનુસાર ડાયમંડ વર્કર યુનિયન 7 કિલોમીટર લાંબી રત્નકલાકારોની મહારેલી કાઢશે. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકાર પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવા માગ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે બીજી પણ માગ કરી છે જેમાં, દિવાળીમાં કારીગરોને બોનસ આપવામાં આવે, અકસ્માત કે આપઘાતના કેસમાં રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તેવી વિવિધ માંગને લઈ ડાયમંડ વર્કર યુનિયન મેદાને પડ્યું છે. આ અંગે તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે. 2 ઓક્ટોબરના રોજ રત્નકલાકારો મહારેલીનું આયોજન કરશે. પોતાની વિવિધ માંગને લઈને ગાંધીગિરિ સાથે રેલી યોજશે.


ભાજપના કયા મોટા નેતાએ સૌરભ પટેલ સામે વ્યક્ત કરી નારાજગી


બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈયાની સૌરભ પટેલ સામેની નારાજગીનો વિડીયો વાયરલ થયો છે. સૌરભ પટેલ સામેની નારાજગીનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.  બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈયા આવ્યા સુરેશ ગોધાણીના સમર્થનમાં આવ્યા છે. સુરેશ ગોધાણી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ હાલમાં સુરેન્દ્રનગર પ્રભારી અને બોટાદ વિધાનસભા 107માં ભાજપના દાવેદાર છે.


સુરત ખાતે બોટાદ- ગઢડા યુવા સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌરભ પટેલ પ્રત્યે નારાજગી સામે આવી છે. પાટીદારોને એક થઈ સુરેશભાઈ ગોધાણીના સમર્થનમાં રહેવા પોપટ અવૈયાએ આહ્વાન કર્યું છે. 25 વર્ષથી કોઈને નેતા બનવા નથી દીધા તેવું કહી જાહેરમાં નામ લીધા વગર સૌરભ પટેલનો સુરતમાં ખુલ્લો વિરોધ થયો.


ગુજરાતની કઈ બેઠક પર ટિકિટ માટે રાજકારણ ગરમાયું,


બનાસકાંઠાની દિયોદર વિધાનસભામાં ભાજપની ટીકીટ માટે રાજકારણ ગરમાયું છે. દિયોદર વિધાનસભામાં ભાજપના 24 દાવેદારોમાંથી કોઈપણ એકને ટીકીટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને  રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓ છે. બનાસકાંઠા ભાજપના જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લાના મોવડી મંડળે અને 24 દાવેદારોએ ગઈકાલે સી.આર પાટીલની મુલાકાત કરી રજુઆત કરી હોવાની ચર્ચા છે.