Surat: બાંગ્લાદેશ સંકટની અસર સુરતના ટેકટાઈલ અને કેમિકલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગુજરાતના કેમિકલ્સ, ટેક્સ્ટાઈલ ઉદ્યોગના અંદાજે રૂ. 800થી 1000 કરોડ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતથી કોટન, યાર્ન, પોલિયેસ્ટર અને કેમિકલ્સની બાંગ્લાદેશમાં બહોળા પ્રમાણમાં નિકાસ થાય છે આ ઉપરાંત જૂના પેમેન્ટ પણ અટવાયા છે


બાંગ્લાદેશમાં અનામત વિરોધી અંદોલનના કારણે બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે અને આર્મીએ દેશનો હવાલો સંભાળ્યો છે. ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીને મોટી અસર થવાની સંભાવના છે. આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહીને અંદાજે રૂ. 800થી 1000નો નિકાસ વેપાર થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે. કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઈલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાયઝ ઇન્ટરમીડીયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે.


કેમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂ. 5,000 કરોડની નિકાસ થઈ હતી. દર મહિને અંદાજે રૂ. 400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે. કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઈ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે.


ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેં મેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહીને અંદાજે રૂપિયા 200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3,000થી વધુ ટેક્સ્ટાઈલ મિલો બંધ થઈ ગઈ છે. બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતનું સ્પર્ધક રહ્યું છે. સસ્તી મજુરીના કારણે યુરોપ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા રહ્યા હતા.


ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોનું માનવું છે કે, આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફાયદો થશે નહિ. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે. દક્ષીણ ભારતમાં થોડા પ્રમાણમાં તૈયાર કપડાની આયાત થાય છે. ગુજરાતમાં ત્યાંથી નજીવો માલ આવે છે. આ સિવાય મોરબીથી વાર્ષિક રૂ. 10-12 કરોડની સિરામિક ટાઈલ્સની નિકાસ કરવામાં આવે છે. સિરામિક ઉત્પાદકોના મતે તેમને બાંગ્લાદેશ સંકટની કોઈ અસર થશે નહિ. રાજ્યના ઉદ્યોગકારોનું માનવું છે કે, હાલ તો આર્મીએ દેશની કમાન સાંભળી છે અને આગામી એક મહિનામાં નવી સરકારની રચના થાય તો પછી પરિસ્થિતિ ફરી સામાન્ય બની જશે.