સુરતઃ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં ડાંગ અને અરવલ્લી બે જિલ્લા કોરોનામુક્ત છે. હવે દક્ષિણ ગુજરાતમાં વધુ એક જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે નર્મદા જિલ્લામાં આજે 3 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે, તેમજ તેમને આજે હોસ્પિટલમાંથી રજા મળી જવાની છે.


નર્મદા જિલ્લામાં 4 એક્ટિવ કેસ હતા, જેમાંથી ત્રણ દર્દીઓ સ્વસ્થ થતાં હવે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. નર્મદા જિલ્લામાં કુલ 19 કેસ નોંધાયા હતા. જેમાંથી 18 લોકો કોરોનામુક્ત બની ગયા છે. હવે એક જ એક્ટિવ કેસ રહેતા નર્મદા જિલ્લો ગમે ત્યારે ફરીથી કોરોનામુક્ત બની શકે છે. આ સિવાય મોરબી અને તાપીમાં પણ એક-એક જ એક્ટિવ કેસ છે. ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.

ગુજરાત સરકારના કોવિડ-19 ડેશબોર્ડ પર આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં એવા કેટલાય જિલ્લા છે, જ્યાં 10થી ઓછા કોરોનાના એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં 7, આણંદમાં 5, બોટાદમાં 4, દાહોદમાં 9, દેવભૂમિ દ્વારકામાં 2, ગીર સોમનાથમાં 3, જામનગરમાં 9, જૂનાગઢમાં 4, મોરબીમાં 1, પોરબંદરમાં 4 અને તાપીમાં 1 એક્ટિવ કેસ છે. ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.

નોંધનીય છે કે, ગઈ કાલે રાજ્યમાં 318 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 67.40 ટકા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 12,212 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 1122 લોકોના મોત થયા છે.