સુરત: સુરતમાં બે દિવસ પહેલા ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટર મેનની નજર પડી હતી. મોટર મેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.  સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનની સતર્કતાના પગલે મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી. 


સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ  દરમિયાન ઘટના  બની હતી. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્તાન  સામે આવ્યું છે. રેલવેની હદમાંથી ચોરેલ લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. 


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,  ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહોતો. જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યો હતો. પોલીસે બંને શખ્સોની  અટકાયત કરી છે. અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.  


ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, ચોરી કરતી ગજ્જર ગેંગના 3 ઓરોપીઓને ઝડપી પાડ્યા


સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે આંતરરાજ્ય ગજ્જર ગેંગના દીલ્હી, હરીયાણા ખાતેથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં દિવસ દરમ્યાન VIP વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા. આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા અને હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. તે મકાન માંથી આશરે 2.65.000 લાખ રૂપિયાની ચોરી કરી  હોવાની કબુલાત કરવામાં આવી છે.


આ ઉપરાંત 3 મહિના પહેલા વડોદરા શહેરમાં પણ વાડી-પાણીગેટ-નવાપુર વિસ્તારમાં બંધ ફ્લેટ્સે ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તે ઉપરાંત અમદાવાદ-રાજકોટ-પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરી હતી. આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, દિલ્હી,  મહારાષ્ટ્ર, બેંગ્લુરુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે અને રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે. હાલ ત્રણે આરોપીઓની વધુ પૂછપરછ પોલીસ દ્વારા  કરવામાં આવી રહી છે.