સુરત: રાજ્યમાં વધુ એક કૌભાંડીએ કરોડોનું ફેલેકુ ફેરવ્યું હોવાની માહિતી સામે આવી છે. કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપત્તિ અમેરિકા ભાગી ગયાના આરોપ લગાવવામાં આવાયો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ અને પત્ની કવિતા શાહ ઉઠમણું કરી ફરાર થઇ ગયા છે ત્યારે રૂપિયા આપનાર ફરિયાદીએ ન્યાયની માંગ કરી છે. આરોપનો સામનો કરી રહેલા ૧૦૦ કરોડ રૂપિયાની લોન લઈ ફરાર થયા છે ત્યારે વિજય શાહ સામે મલ્ટીપલ FIR થયેલી છે અને ગાંધીનગર સીબીઆઇએ તપાસ શરૂ કરી છે. 


આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ફરિયાદી હિરેન ભાવસારે આરોપ લગાવ્યો છે કે તેમના  2 કરોડ રૂપિયા ચાઉં કરી વિજય શાહ ફરાર થઇ ગયા છે. આ બાબતે સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રા.લિં.ના 2 કરોડ રૂપિયા હજુ હાઇ- ટેક સ્વીટ વોટર ચૂકવ્યા નથી. આ ઉપરાંત બેન્કના કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયા છે શાહ દંપતી.


સુરત શહેરના અન્ય બિઝનેસમેનની સાથે છેતરપિંડી કરી તેમના રૂપિયા પચાવી વિજય શાહ અને પત્ની કવિતા શાહ ભારતે દેશ છોડીને અમેરિકા ભાગી ગયા હતા. તેઓ ભાગી જતાં પહેલા કંપનીના કર્મચારીને ડિરેકટર બનાવીને સતિષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.જેથી તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી થાય. સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે કહ્યું કે હાઇ-ટેક સ્વીટ વોટરને વર્ષ 2018માં 2 કરોડ રૂપિયાનો સામાન આપ્યો હતો, તે વખતે વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલ ડિરેકટર હતા. 


કંપનીએ હજુ પણ રકમ ચૂકવી નથી. વારંવારની માંગણી છતા તેઓ ગલ્લાતલ્લાં કરતા રહે છે. વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેઓએ 2023 માં ગાંધીનગર સીબીઆઇએમાં ફરિયાદ દાખલ કરી ત્યાર પછી આ ફરિયાદને વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે આગામી સમયમાં કૌભાંડનો પર્દાફાશ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. 


હિરેન ભાવસારે આ કારસ્તાન વિશે PMO ને પણ પત્ર લખ્યો છે. આ લોકો ઉપર મલ્ટીપલ FIR થઇ ચુકી છે જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેર માં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે. સાથે ઓક્ટોબર 2017 માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. જેમા પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. 


હિરેન ભાવસારે કહ્યુ કે, માહિતી આપવાનો આશય એટલો જ છે કે, લોકોને વિજય શાહના કારસ્તાન વિશે જાણકારી મળે અને બીજા ફસાતા બચી શકે. શાહ દંપતી અને અગ્રવાલ પરિવાર દ્વારા જે પ્રકારની પ્રવૃત્તિ ઉપજાવવામાં આવી છે જેના કારણે બેંકમાં રહેલા લોકોના પૈસા પણ જોખમમાં મુકાઈ ગયા છે. અમે અમારા ન્યાય માટે લડત આપતા રહીશું. સુરત શહેરમાં આ પ્રથમ એવી ઘટના છે જે સીબીઆઇ ગાંધીનગરથી સુરતના આર્થિક ગુના શાખા, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ મોકલવામાં આવી છે.