સુરતઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક યુવાને ધંધામાં મંદી આવતા આપઘાત કરી લીધો છે. કોરોના મહામારીને કારણે સુરતમાં હીરા ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. જેને કારણે અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે સુરતમાં મંદીને કારણ આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે.


હીરા વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને તાપી નદીમાં આપઘાત કરતા બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સંજય વિરડીયાએ ગત દિવાળી પછી ધંધામાં મંદી આવતા પરિવાર સાથે ભાવનગરના ફરિયાદકા ગામ જતા રહ્યા હતા. તેમજ 2 દિવસ પહેલા સુરત આવી સવજી કોરાટે તાપી બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી.

અન્ય એક ઘટનામાં અમરોલી વિસ્તારમાં રત્નકલાકારની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. અમરોલીના ગોપીનાથજી સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશભાઈ હીરામી હીરાના કારખાનામાં કામ કરે છે. લોકડાઉનમાં તેમનું કામ છૂટી ગયું હતું. પત્ની શિલ્પાબેન હીરામીને વતન જવા કહેતા તેમને ના પાડી હતી. રત્નકલાકાર ભાવેશ કામ અર્થે બહાર જતા પત્ની શિલ્પાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અમરોલી પોલીસે તપાસ આરંભી છે. કામધંધો બંધ હોવાથી આર્થિક તંગીના કારણે છેલ્લા 3 દિવસથી ઝઘડા ચાલતા હતા. આ સિવાય ગત 4 જૂલાઇએ પણ સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.