નવી દિલ્લીઃ દેશભરમાં કોરોનાના દર્દીઓ પર મોટા પ્રમાણમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી) કરાઈ રહયા છે ત્યારે મોદી સરકારે જ રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી)ને આડકતરી રીતે બિન ભરોસાપાત્ર ગણાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી)માં નેગેટિવ આવેલાં લક્ષણોવાળા કેસોમાં પણ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને કોરોના નથી જ તેની ખાતરી કરવા સલાહ આપી છે.


આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆર દ્વારા સંયુક્ત રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એ જોવા આદેશ અપાયો છે કે રેપિડ ટેસ્ટની તપાસમાં નેગેટિવ આવેલા તમામ દર્દીઓનો ફરી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાય, જેથી કોઇ પણ લક્ષણ ના હોય પણ કોરોના હોય તેવા દર્દી છૂટે નહીં.

આઇસીએમઆર અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે બે પ્રકારના લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત ધોરણે કરવામાં આવે. એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ જણાયેલા તમામ સિમ્પ્ટોમેટિક કેસનો અને રેપિડ ટેસ્ટમાં એસિમ્પ્ટોમેટિક જણાયેલા નેગેટિવ કેસનો પણ ફરજિયાત ટેસ્ટ કરાય તેવો આદેશ અપાયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ઘણાં મોટાં રાજ્યોમાં એન્ટિજન ટેસ્ટમાં લક્ષણો હોય તેવા શંકાસ્પદ કેસોનું પણ ફોલો-અપ આરટી-પીસીઆર ટેસ્ટિંગના માધ્યમથી નથી કરાતું તેથી આરટી-પીસીઆર ટેટ ફરજિયાત છે. આ કવાયતનો હેતુ એ છે કે કોરોનાનો કોઇ પણ સંભવિત દર્દી છૂટી ન જાય.