Vadodara News: વડોદરામાં રામનવમી દમિયાન કરવામાં આવેલા પથ્થરમારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પથ્થરમારાની ઘટનામાં સામેલ 23 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આજે પથ્થરમારો કરનાર આ તમામ 23 આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ પથ્થરબાજોના રિમાન્ડની માંગણી કરશે. તો બીજી તરફ અન્ય પથ્થરબાજોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.આર દવે સાહેબની કોર્ટમાં 23 આરોપીઓને રજૂ કરાયા છે.


વડોદરામાં રામજીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા અંગે મોટો ખુલાશો સામે આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચાધિકારી સૂત્રો પાસેથી abp અસ્મિતાને  મોટી માહિતી મળી છે.  રામજીની શોભાયાત્રા પર થયેલા છેલ્લા ત્રણ પથ્થરમારાની ઘટના પૂર્વાયોજીત કાવતરું હતું.  ગુરુવારે રામજીની શોભાયાત્રા પર પાંજરિગર મહોલ્લામાં 1 વાગ્યા આસપાસ પ્રથમ પથ્થરમારો ઘર્ષણના કારણે થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  રામજીની શોભાયાત્રા પર બપોરે 4:15 કલાક આસપાસ કુંભારવાડા ચાર રસ્તા પર આયોજનપૂર્વક પથ્થરમારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રામજીની શોભાયાત્રા પર ફતેપુરા ચાર રસ્તા પાસે થયેલો ત્રીજો પથ્થરમારો પણ આયોજનપૂર્વક કરાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત રામજીની શોભાયાત્રા પર યાકુતપુરાના નાકે થયેલો ચોથો પથ્થરમારો પણ આયોજનપૂર્વક કરાયો હતો. પથ્થરમારાની ચાર ઘટનામાં સંડોવાયેલા 23ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 22ની શોધખોળ ચાલુ છે.


કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા


સુરત: કાપોદ્રા પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડા પાડ્યા છે. કાપોદ્રા તાપી નદી પાસે આવેલા ખાડી ફળિયું ખાતે દરોડા પાડવામાં આવ્યા છે.  આ રેડમાં ૩૮ મોબાઈલ, ૨ કાર, ૧૧ ટુવ્હીલર, ૧ રીક્ષા સહીત ૨૨.૩૨ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ૧ મહિલા સહીત ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુગારધામ ચલાવનાર, રમાડનાર સહીત ૧૮ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કરતા ચકચાર મચી છે. 


વલસાડમાં ખાળ કુવો સાફ કરવા ઉતરેલા 3 લોકો ડૂબ્યા


ઉમરગામના સોળસુંબામાં કરૂણ ઘટના સામે આવી છે. ખાળ કુવો ખાલી કરતા 3 લોકો ખાળ કૂવામાં પડ્યા હતા. ખાળ કૂવામાં ડુબી જતા 2 લોકોના મોત થયા છે જ્યાકે એકનો બચાવ થયો છે. એક બીજાને બચાવવા ખાળ કૂવામાં પડ્યા હતા. ચાલીનો ખાળ કુવો ઉભરાતા ચાલી માલિક અને ભાડુઆત ખાળ કુવો ખાલી કરી રહ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાલી માલિક અને એક ભાડુઆતનું મોત થયું. ઘટના ને પગલે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે.